અંકલેશ્વર ઓનજીસી બ્રિજનું સમારકામ શરૂ : અંકલેશ્વર ઓનજીસી બ્રિજનું સમારકામ માટે 15 દિવસ બંધ કરવાના જાહેરનામાંને લઈ ભરૂચ, સુરત, વાલિયા, નેત્રંગ તરફથી આવતા વાહન ચાલકોને હવે ડાયવર્ટ રૂટનો વિકલ્પ અપનાવવો પડશે.
ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મંગળવારે સાંજે OLD NH 8 ઉપર આવેલા અંકલેશ્વર ONGC બ્રિજને સમારકામ માટે બંધ કરવા જાહેરનામું જારી કરાયું છે. અંકલેશ્વર શહેરને GIDC સાથે જોડતો આ વર્ષો જૂનો સ્પાન બ્રિજ જર્જરીત બન્યો હતો.
આજે 20 એપ્રિલથી 4 મે 15 દિવસ માટે ઓનજીસી બ્રિજ બંધ કરવાનો નિર્ણય
જે બ્રિજને તોડી ટ્વિન બોક્સ સેલની કામગીરી હાથ ધરવા આજે 20 એપ્રિલથી 4 મે 15 દિવસ માટે બ્રિજ બંધ કરવાનો નિર્ણય લેવાયો છે. બ્રિજ સુરત, વાલિયા, નેત્રંગ અને અંકલેશ્વર શહેરના વાહન ચાલકો માટે ખૂબ જ ઉપયોગી છે.
જાણો વૈકલ્પિક માર્ગ
બ્રિજ બંધ રહેતા ડાયવર્ઝન NH 48 સર્વિસ રોડ પરથી હવા મહેલ પીરામણ ગામ ચૌટા બજાર થઈ ગડખોલ ફ્લાયઓવરનો બન્ને તરફ આપવામાં આવ્યું છે.
અગાઉ 14 માર્ચથી સમારકામ હાથ ધરાનાર હતું. જોકે ધોરણ 10 અને 12 ની બોર્ડની પરીક્ષા શરૂ થતી હોય જે 29 માર્ચ સુધી ચાલતી હોય વાલીઓએ ભારે વિરોધ નોંધાવ્યો હતો. સોશ્યલ મીડિયામાં પણ આ અંગે અનેક પોસ્ટ મૂકી નારાજગી વ્યકત કરાઈ હતી.
અંતે RDC એન.આર. ધાંધલ દ્વારા સમારકામ માટે બ્રિજને બંધ કરતું જાહેરનામું હજારો વિધાર્થીઓની બોર્ડની પરીક્ષાને ધ્યાને લઇ તે સમયે રદ કરાયું હતું. આજે ફરીથી બ્રિજને સમારકામ માટે 15 દિવસ બંધ કરતું જાહેરનામું જારી કરાયું છે. હયાત જુનો સ્પાન બ્રિજ તોડી પાડી તેના સ્થાને ટ્વિન બોડીની કામગીરીથી નવો બ્રિજ બનાવવામાં આવશે.